જમ્મુ કાશ્મીરમા ધરપકડ કરાયેલા સ્થાનિક રાજકીય પક્ષના નેતાઓને છોડવાની પ્રકિયા શરૂ કરી દીધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર એક સમાચાર પત્રએ લખ્યું છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ અંગે જમ્મુ કાશ્મીર પોલીસને નિર્દેશ આપ્યા છે. તેમજ પોલીસને પ્રથમ તબક્કામાં કયા નેતાઓને છોડવા જોઈએ તેનું નામ નક્કી કરીને યાદી બનાવવા પણ જણાવ્યું છે.
આ પૂર્વે નેશનલ કોન્ફરન્સ,પીપલ્સ કોન્ફરન્સ, પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી જેવા રાજકીય દળના નેતાને આર્ટીકલ ૩૭૦ નાબુદ કરવાના નિર્ણય બાદ નજરકેદ કરીને ધરપકડ કરવામા આવ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર બીમાર અને ઉંમરલાયક નેતાઓને પ્રથમ તબક્કામા છોડવામા આવી શકે છે. જેમાં પ્રથમ તબક્કામા નેશનલ કોન્ફરન્સના અલી મુહમ્મદ સાગર, પીડીપીના નઈમ અખ્તર, પીપલ્સ કોન્ફરન્સના ઈમરાન અંસારી જેવા નેતાઓ છોડવામા આવી શકે છે. જમ્મુ કાશ્મીરની પૂર્વ પીડીપી- ભાજપ ગઢબંધન સરકારમાં મંત્રી રહી ચુકેલા ઈમરાન અંસારીની ઓળખ કાશ્મીરમાં શિયા ગુરુ તરીકેની છે. તેવા સમયે આગામી સપ્તાહે મોહરમના અવસરે' શિયા તાજીયા જુલુસ' નિકળશે. જેના પગલે તેમને છોડવામા આવશે તે નિશ્ચિત છે.
જયારે જમ્મુ કાશ્મીરમા વિરોધ પ્રદર્શનના પગલે પ્રથમ તબક્કામા મહેબુબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાને છોડવામા આવે તેવી શકયતા મુશ્કેલ છે. આ બંને નેતાઓએ પોતાના છુટકારા માટે વધુ સમયની રાહ જોવી પડશે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાંથી આર્ટીકલ ૩૭૦ની નાબુદી અને વિભાજનની જાહેરાત બાદ ઓછામાં ઓછા ૧૭૩ નેતાઓની ધરપકડ કરવામા આવી છે. આ ઉપરાંત શાંતિ વ્યવસ્થા બનાવી રાખવા માટે અનેક જીલ્લામા ફોન અને ઇન્ટરનેટ સહિતના પ્રતિબંધો પણ લાદવામા આવ્યા હતા. જેમાં ધીરે ધીરે સરકાર રાહત આપી રહી છે.