કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે કોંગ્રેસ કાર્યાલય પર પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે દેશમાં અડધીથી વધારે બેઠકો પર ચુંટણી સંપન્ન થઈ છે અને તે સ્પષ્ટ થઈ ગયું છે કે મોદીજી ચુંટણી હારી રહ્યા છે.
આ ઉપરાંત રાહુલ ગાંધીએ સેના દ્વારા કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઈકનો શ્રેય લેવા બદલ પીએમ મોદી અને ભાજપ પર કટાક્ષ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે સેનાએ મોદીજીની ખાનગી સંપત્તિ નથી. સેના ભારતની છે. જો પીએમ મોદી કહે છે કે સેના દ્વારા કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઈક વિડીયો ગેમ છે તો તે સેનાનું અપમાન છે.
ભારતીય સેના ૭૦ વર્ષથી તેનું કામ કરતી આવી છે. સેનાએ કોંગેસના શાસનમાં પણ કામ કર્યું છે. સેના સર્જીકલ સ્ટ્રાઈક કરે છે તે તેમની સફળતા છે. તેમાં નરેન્દ્ર મોદીનું શું યોગદાન છે.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે ખેડૂત, ભ્રષ્ટાચાર, રોજગાર, સંસ્થાઓ પર દબાણ મુખ્ય મુદ્દાઓ છે. તેમજ તેના પગલે જે ભાજપ ચુંટણી હારી રહી છે. અમે તેમની સાથે ચાર થી પાંચ ચુંટણી લડી ચુક્યા છે તેની પરથી લાગે છે કે તે ચુંટણી હારી રહ્યા છે. તે ધ્યાન ભટકાવવા માટે નવા નવા નુસખા અપનાવી રહ્યા છે.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે દેશમાં બેરોજગારી મોટો મુદ્દો છે.જેના વિશે નરેન્દ્ર મોદી કશું જ નથી બોલતા. જયારે કોંગ્રેસે તેના મેનીફેસ્ટોમાં એક સમગ્ર ચેપ્ટર તેની પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમજ અમે દર વર્ષે ૨ કરોડ નોકરીનો ખોટો વાયદો નથી કર્યો. અમે દર વર્ષે ૨૨ લાખ રોજગારનો વાયદો કર્યો છે.
રાહુલ ગાંધીએ મોદી સરકારના નિર્ણયો પર ટીકા કરતા જણાવ્યું કે નોટબંધી અને જીએસટીએ લોકોની અને અર્થતંત્રની કમર તોડી નાંખી છે. એક વેપારીએ મને કહ્યું કે મારી આંખોમાંથી લોહી નીકળે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચાર પર વાત નથી કરતા. પીએમ મોદી મારી જોડે પાંચ મીનીટ ચર્ચા કરતા નથી તેમની સાથે હું અનિલ અંબાણીના ઘર સિવાય ગમે ત્યાં ચર્ચા કરવા માટે તૈયાર છું.
રાહુલ ગાંધીએ ચુંટણી પંચ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ચુંટણી પંચ બે રીતે કામ કરી રહ્યું છે. જ્યાં સત્તાધારી પક્ષ ભાજપ માટે અલગ નિયમ છે. તેમજ વિપક્ષી પાર્ટીઓનો નેતા માટે અલગ નિયમ છે. ચુંટણી પંચ પર ભાજપનું દબાણ છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે રાફેલ ડીલમાં ૩૦,૦૦૦ કરોડ અનિલ અંબાણીને પીએમ મોદીએ આપી દીધા. તેમજ ચોકીદાર ચોરનો નારો એ સચ્ચાઈ છે. કોંગ્રેસ પાસે ભાજપના અનેક ગોટાળાના પુરાવા છે.