ઉત્તર પ્રદેશના આગ્રામા બાર કાઉન્સિલના મહિલા પ્રમુખ દરવેશ યાદવની હત્યાને લઈને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે યોગી સરકાર પર પ્રહાર કર્યા છે. આ અંગે હાર્દિક પટેલે જણાવ્યું કે યોગી જી, તમે રામરાજનો મતલબ તો જાણતા હશો. ઉત્તર પ્રદેશમાં કયુ રાજ છે. આગ્રામાં કાયદો અને વ્યવસ્થા તાર તાર છે. દિવસે નવા ચુંટાયેલા બાર કાઉન્સીલના અધ્યક્ષ દરવેશ યાદવની ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી. બંગાળમાં હત્યા કરનારા લોકો ઉત્તર પ્રદેશની વાત કયારે કરશો.
ઉત્તર પ્રદેશ બાર કાઉન્સિલના અધ્યક્ષની બુધવારે આગ્રામા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસે મૃતકની ઓળખ દરવેશ યાદવ તરીકે કરી છે. તેમની બે દિવસ પૂર્વે જ બાર કાઉન્સિલના અધ્યક્ષ તરીકે ચુંટણી થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર દરવેશ યાદવની હત્યા તેમના અંગત સહયોગી મનીષ શર્માએ કરી છે જેમાં આરોપીએ દરવેશ યાદવને ગોળી માર્યા બાદ પોતાની જાતને પણ ગોળી મારી લીધી હતી. જો કે હાલમાં તેની હાલત ગંભીર છે. માનવામા આવી રહ્યું છે કે કોર્ટ પરિસરમાં બંને વચ્ચે કોઈ મુદ્દે તકરાર થઈ હતી. જેની બાદ મનીષે પોતાની લાયસન્સ ગનમાંથી દરવેશ યાદવ પર ગોળી ચલાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મનીષ શર્માએ દરવેશ યાદવને ત્રણ ગોળી મારી હતી.
દરવેશ યાદવને એ સમયે ગોળી મારવામાં આવી હતી જયારે તે આગરા કોર્ટ પરીસરના સ્વાગત સમારોહમાં હિસ્સો લેવા પહોંચી હતી. પોલીસે દરવેશ યાદવના શબનો કબજો લઈને તેને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે.
આ ઘટના અંગે માહિતી આપતા આગ્રાના એડીજી અજય આનંદે જણાવ્યું કે દરવેશ યાદવની હત્યા કરનારા મનીષ શર્માએ પોતાની જાતને ગોળી મારી દીધી હતી. તેની હાલત ખુબ જ ગંભીર છે. અત્યાર સુધી તપાસમા માલુમ પડ્યું છે કે આરોપીએ દરવેશને ત્રણ ગોળી મારી હતી. આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.